‘રાજા ભરથરી’ ની લોકપ્રિયતા આજે પણ યથાવત્
1973 ની આ ફિલ્મ દમદાર ગીત-સંગીત અને ધારદાર સંવાદોથી ભરેલી હતી
1970-75 ના સમયમાં અનેક એવી ગુજરાતી ફિલ્મો બની જે લોકકથા પર આધારિત હતી. ‘જેસલ તોરલ’ (1971), ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ (1972), ‘હોથલ પદમણી’ (1974), ‘તાના રીરી’ (1975) જેવી અનેક ફિલ્મો આ ગાળામાં રિલીઝ થઈ. આ જ સમયમાં 1973માં ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા, રમેશ મહેતા, જય શ્રી ટી જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘રાજા ભરથરી’ પણ રિલીઝ થઈ હતી.
ડિરેક્ટર રવિન્દ્ર દવે દ્વારા બનવવામાં આવેલી આ ફિલ્મ ‘રાજા ભરથરી’ માં અવિનાશ વ્યાસનું સંગીત હતું. ગાયક કલાકારોમાં સુમન કલ્યાણપૂર, આશા ભોસલે, ઉષા મંગેશકર, સુલોચના વ્યાસ અને મહેન્દ્ર કપૂરે સ્વર આપ્યો હતો. ફિલ્મની કથા અને સંવાદ રમેશ મહેતાએ લખ્યા હતા. ધારદાર સંવાદ અને સંગીતને લીધે ફિલ્મની સફળતા સોળે કળાએ ખીલી હતી. વળી સ્ટારકાસ્ટમાં એ સમયની સૌથી લોકપ્રિય ગણાતી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાની જોડી આકર્ષણનું કેન્દ્ર હતી. ત્રિવેદી બંધુઓએ પણ ‘જેસલ તોરલ’ (1971) ની જેમ ફરી એકવાર એકસાથે મોટા પડદે જોવા મળ્યા હતા.
રવિન્દ્ર દવેની આ 1973માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રાજા ભરથરી’ ની વાત કરીયે તો ગુરૂ મછેન્દ્રનાથના સૌથી શ્રેષ્ઠ શિષ્ય ગુરૂ ગોરખનાથ (અરવિંદ ત્રિવેદી) ને સંસારવિલાસમાં મગ્ન એવા રાજા ભરથરી (ઉપેન્દ્ર ત્રિવેદી) ને તેમના જીવનલક્ષ્યને મેળવવા અને તેમની અંતરઆત્માને સંસાર કલ્યાણ માટે જાગૃત કરવાનો આદેશ મળે છે. સામાપક્ષે રાજા ભરથરી, રાણી પિંગળા (સ્નેહલતા) સાથે ભોગવિલાસ અને સંસારવિલાસમાં એવા મગ્ન છે કે રાણી પિંગળા વિના તેમના જીવનની એકક્ષણ પણ પસાર થતી નથી.
વેશ બદલીને આવેલા ગુરૂ ગોરખનાથ રાજા ભરથરી સાથે મિત્રતા કરે છે અને રાણી પિંગળા સામે પડકારો ઊભા કરે છે. ટૂંકમાં રાજા ભરથરીને સંત ભરથરી બનાવવાની આ હરિફાઈ ગુરૂ ગોરખનાથના તપ અને રાણી પિંગળાના સતીત્વ વચ્ચેની લડાઈ છે જેમાં ગુરૂ ગોરખનાથનો વિજય થાય છે.
‘ભિક્ષા દેને મૈયા પિંગળા, જોગી ઉભો છે તારે દ્વાર મૈયા પિંગળા’ ઉપરાંત ‘પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના’ જેવા ગીતો-ભજનોને માણનારો એક અલાયો વર્ગ આજે પણ શ્વસી રહ્યો છે. ‘ભિક્ષા દેને મૈયા પિંગળા’ આખા ફિલ્મનો સાર વર્ણવી દે એવી રચના છે, જેમાં પતિ-પત્નીના સંવાદ ઉપરાંત ભિક્ષુક અને ભિક્ષા દેનાર વચ્ચનો સંવાદ જોવા મળે છે. આ બે યાદગાર ગીતો ઉપરાંત ‘ઉંબરો ઓળંગો તો તમને મારા સમ છે’, ‘સજી શણગાર આવી તારે દરબાર, મને લાગ્યું નજરીયાનું તીર આરપાર’, ‘છુપાઓ છો શાને ઘુંઘટમાં ઘેરાવીયા શ્રાવણની ઘટાને’, ‘રાજન હંસ મારું તમે કરો થોડું કામ, ઉડીને જાઓ મારા પ્રીયતમને ધામ’, ‘મારા પ્રીતમની હું પ્રણયીની, રંગે રમી લઉં રાસ રંગ ભીની’ જેવા ગીતો દર્શાવવામાં આવ્યા હતા. મોટાભાગની જનતા આ ફિલ્મના ફક્ત બે-ત્રણ ગીતોથી જ વધારે પરિચીત છે જ્યારે અન્ય ગીતો ભાગ્યે જ સાંભળવા મળે છે. રાજા ભરથરી પર બનેલી ફિલ્મોની વાત કરશું આવતા લેખમાં.
- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી
- dhollywoodtalkies@gmail.com



Comments
Post a Comment