ગુજરાતી ફિલ્મો અને રંગમંચ સાથે સંકળાયેલા હોવા છતાં બોલીવુડમાં પોતાની ઓળખ બનાવવા ઘણી મહેનત કરવી પડી ઢોલીવુડમાં આપણને એવા અનેક કલાકારો ખબર છે જેમના નામ આજે તેમની ઓળખાણ બની ચૂક્યા છે. જે તે કલાકારોએ માત્ર ઢોલીવુડ પૂરતા જ સીમિત ન રહેતા બોલીવુડમાં પણ પોતાનો ડંકો વગાડ્યો છે અને એ બાબતે અગાઉના લેખમાં આપણે વિગતવાર વાત પણ કરી હતી. આજે એવા એક ગુજરાતી કલાકારની જ વાત કરવી છે જેને આપણે ‘થ્રી ઇડિટ્સ’ ના રાજુ તરીકે ઓળખીયે છીએ અથવા તો રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’ ફિલ્મના લક્ષ્મણ તરીકે અથવા તો ‘રંગ દે બસંતી’ ના રાજગુરુ એટલે કે સુખી તરીકે. હા, આ કલાકાર છે શર્મન જોશી જેમને કળાની સેવા કરવાની તક ગડથૂથીમાં જ મળી છે. ગુજરાતી સિને જગતનો ઈતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે એમાં ખ્યાતનામ કલાકાર અરવિંદ જોશીનું નામ અચૂક ઉમેરાશે. આ જ અરવિંદ જોશીના સુપુત્ર તરીકે શર્મનનો જન્મ 28 મી એપ્રિલ 1979 માં મુંબઈ ખાતે થયો. વિલેપાર્લાની કેળવણી મંડળમાં કોલેજનું ભણતર પૂરુ કરવાની સાથે તે રંગમંચ સાથે જોડાયો હતો. 1999 ની ત્રીજી સપ્ટેમ્બરે વિનય શુક્લા લિખીત અને દિગ્દર્શિત ફિલ્મ ‘ગોડમધર’ રિલીઝ થઈ હતી જેમાં શર્મન જોશીએ પહેલીવાર અભિનય કર્યો હતો. ...