પ્રેમ અને વાસના વચ્ચેની પાતળી ભેદરેખા સમજાવતી વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ એટલે ‘31st'

31 મી ડિસેમ્બરની પ્લાનિંગ અમલમાં મૂકતા પહેલા આ ફિલ્મ અચૂક જોવા જેવી છે



ઢોલીવૂડ માટે વર્ષ 2014 ની શરૂઆત ‘ડેની જીગર’ ના એક નવા પ્રકારના પ્રયોગથી થઈ હતી અને આ વર્ષનો અંત પણ એક અનોખા પ્રકારની ફિલ્મથી થવા જઈ રહ્યો છે. આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘31st' (થર્ટી ફસ્ટ) 2013 માં થયેલી અમદાવાદમાં 31 મી ડિસેમ્બરના રોજ બનેલી ગેંગેરપની સત્ય ઘટના પર આધારિત છે. સત્ય ઘટના પર આધારિત આ મલ્ટી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મને અત્યાર સુધીની ગુજરાતી સિનેમા જગતની એક અલગ પ્રકારની ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે. 



પ્રાચી ઠાકર

ગુજરાતી ફિલ્મ જગતમાં અત્યાર સુધી એવી ઘણી ઓછી ફિલ્મો બની છે જે સત્ય ઘટના પર આધારિત હોય અથવા તો કોઈ એક ચોક્કસ ઘટનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હોય. આ ફિલ્મના નામ, પોસ્ટર અને ટ્રેલર જોતા જ ખબર પડે છે કે ફિલ્મ ‘31st' બળાત્કાર જેવા મુદ્દા પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ ન માત્ર બળાત્કારના મુદ્દાની વાત કરી રહી છે પણ કૃત્યનો ભોગ બનનાર વ્યક્તિ, તેના પરિવાર, તેની આજુબાજુનો સમાજ, આ હિન કૃત્ય કરનાર વ્યક્તિ, તેની માનસિકતા, પોલીસ અને કોર્ટ રૂમ જેવા કાનૂની પ્રશાસન સારી-નરસી વાત કરે છે. આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બળાત્કાર જેવા મુદ્દા પર બનનારી કદાચ આ પહેલી ફિલ્મ છે, જે વાસ્તવિકતાને કાનૂની દાવપેચ સાથે રજૂ કરી રહી છે.

શ્રદ્ધા ડાંગર

કલાકારોની વાત કરીયે તો ફિલ્મ ‘31st' માં બળાત્કારનો ભોગ બનનાર યુવતી કિંજલનું પાત્ર ભજવી રહી છે પ્રાચી ઠાકર જે મૂળ તો અમદાવાદની વતની છે પણ સાઉથની ફિલ્મોમાં તેમણે કાઠું કાઢ્યું છે. પ્રાચી આ પહેલા આપણને ફિલ્મ 'રાડો' માં એક નાનકડું પાત્ર ભજવતા જોવા મળી હતી. પ્રાચી ઠાકર એટલે કે કિંજલની બહેન ચૈતાલીનું પાત્ર ભજવ્યું છે શ્રદ્ધા ડાંગરે, જેણે આખી ફિલ્મમાં છેલ્લે સુધી દમદાર રોલ નિભાવ્યો છે. આખા કેસની તપાસ કરી રહ્યા છે હિતુ કનોડિયા જેમના પાત્રનું નામ છે એસીપી અનિરુદ્ધ પરમાર. મોટાભાગે કોમેડી રોલમાં જોવા મળતા હેમાંગ દવે આપણને વકીલની ભૂમિકામાં પહેલીવાર જોવા મળશે. જ્યારે ચોકલેટી બૉયની હીરો ધરાવતા પરીક્ષિત તમાલિયા, સ્વપનીલના રૂપે એક અનોખા અવતારમાં જ આપણને જોવા મળશે. આ સાથે ચેતન દૈયા, અંશુ જોશી, પ્રશાંત બારોટ, આકાશ પંડ્યા, કલ્પેશ પટેલ, આશિષ રાજપુત, કિન્નરી પંચાલ, કલ્પેશ પટેલ, દીપિકા રાવલ, જંખના સોની પટેલ, વંદના વિઠલાણી, અને વિપુલ વિઠલાણી, નિકીતા શર્મા મુખ્ય ભૂમિકામાં અભિનય કરતા જોવા મળશે. 



હિતુ કનોડિયા

ફિલ્મની પટકથાની વાત કરીયે તો કિંજલના પાત્ર દ્વારા પ્રાચી ઠાકરે બળાત્કાર પિડીતાની મનઃસ્થિતીને ન્યાય આપ્યો છે તો સામે શ્રદ્ધા ડાંગરે એક સ્ત્રી હોવા છતાં સમાજની પરવાહ કર્યા વિના દરેક પડકારો સામે અડગ ઊભા રહીને લડત આપતા એક સકારાત્મક છાપ છોડી છે. ચેતન દૈયા આપણને અગાઉ કેટલીક ફિલ્મોમાં નેગેટિવ રોલમાં જોવા મળ્યા છે પણ આ ફિલ્મમાં તેમના પાત્રે એ નેગેટિવિટીને ખૂબ અસરકારક રીતે નિભાવી છે એમ ચોક્કસ કહી શકાય. તેમના ભ્રષ્ટ પોલીસઅધિકારીના પાત્રને જોઈને તેમના પર ખીજ ચડે એ જ તેમના અભિનયની સફળતા છે વળી સામાપક્ષે હિતુ કનોડિયાએ એક વફાદાર એસીપી ઓફિસરના પાત્ર દ્વારા પોલીસતંત્રની વફાદારી અને ન્યાયપ્રણાલીમાં અડગ વિશ્વાસ રાખવાની શીખ આપી છે. પ્રશાંત બારોટ અને પરિક્ષીત તમાલિયા પહેલીવાર આ ફિલ્મ દ્વારા નેગેટિવ પાત્રમાં જોવા મળશે જ્યારે હેમાંગ દવે, વિપુલ વિઠલાણી, નિકીતા શર્મા અને પરમેશ્વર સિસરીકર વકીલની ભૂમિકામાં જોવા મળશે અને ન્યાયમૂર્તિરૂપે વંદના વિઠલાણી એક લાંબા સમયગાળા બાદ રૂપેરી પડદે જોવા મળશે. મધ્યાંતર પહેલાના ભાગમાં ફિલ્મની વાર્તા સારી રીતે પ્રસ્થાપિત કરવામાં આવી છે જ્યારે બીજા ભાગમાં કોર્ટની દલીલો વાર્તાને વધારે રોચક બનાવે છે. દરેક બળાત્કારના કેસની જેમ શું આરોપી નિર્દોષ જાહેર થઈ જશે કે એને સજા થશે એ જોવું રસપ્રદ છે. ફિલ્મમાં કાનૂની કાવાદાવાના જે પણ સંદર્ભો વાપરવામાં આવ્યા છે એ આ ફિલ્મ માટેની ફિલ્મમેકર્સની મહેનતને દર્શાવે છે.



પરિક્ષીત તમાલિયા

પ્રણવ પટેલ દિગ્દર્શિત આ ફિલ્મ પહેલા માર્ચ 2024 માં રિલીઝ થવાની હતી પણ કોઈક કારણસર એને મોકૂફ કરવામાં આવી હતી અને હવે આ ફિલ્મ ખરેખર 31મી ડિસેમ્બરની નજીકના સમયમાં રિલીઝ કરવામાં આવી છે. 22 નવેમ્બરની આજુબાજુ આ ફિલ્મ નું ગીત 'હા લઈ ચાલો' રિલીઝ કરવામાં આવ્યું હતું, જેના ગીતકાર ભાર્ગવ પુરોહિત છે અને સંગીત તથા ગાયક અર્જુન પિનાકીન છે. આ ઉપરાંત ફિલ્મની વાર્તાને ન્યાય આપતું ગીત ‘નારી તું સર્વસ્વ’ રિલીઝ કરવામાં આવ્યું હતું જેની ગાયિકા ભૂમિ ત્રિવેદી છે. દિવ્યેશ જોષી લીખિત આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે અર્ચિતા પટાડિયાએ.

ફિલ્મની માર્કેટિંગની વાત કરીએ તો રિલીઝ થતા પહેલા કલાકારોએ અમદાવાદ, બરોડા, સુરત જેવા અનેક શહેરોમાં જઈને ફિલ્મની ઓન ગ્રાઉન્ડ માર્કેટિંગ કરી હતી. અમદાવાદમાં રોડ શો પણ આયોજિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બળાત્કાર સંબંધિત અનેક પ્રશ્નોત્તરી દ્વારા લોકોના મત પૂછવામાં આવ્યા હતા. દિલ્હીનો નિર્ભયા કેસ, કલકત્તાનો સંદેશખાલી કેસ તથા મુંબઈના શક્તિ મિલ કેસ જેવી અનેક ચર્ચાસ્પદ બળાત્કારની ઘટના વિશે લોકોને જાણકારી આપી, આ કૃત્ય  અંગે પોતાનું મૌન તોડવા માટેની પહેલ કરવામાં આવી હતી. 



પ્રાચી ઠાકર

ટૂંકમાં 2003 માં અમદાવાદમાં 31 મી ડિસેમ્બરના રોજ થયેલા એ અપકૃત્યને અંદાજે 20 વર્ષ બાદ ‘31st' નામની ફિલ્મ દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ બનાવવા માટે અંદાજે આઠેક મહિનાનું પ્રી પ્રોડક્શન કામકાજ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મની રિલીઝ બાદ આવતા અઠવાડિયે વર્ષની છેલ્લી ફિલ્મ ‘ભૂમિ’ રિલીઝ થશે. પણ એ પહેલા આ ફિલ્મ ‘31st' દર્શકોને કેટલી પસંદ પડે છે, અને આ ફિલ્મને લીધે સમાજમાં કેટલા લોકો પ્રેમ અને વાસના વચ્ચેની પાતળી ભેદરેખા ખરા અર્થમાં સમજી શકે છે એ જોવાનું રહેશે. યુવાઓએ પોતાની 31st ની પાર્ટીની પ્લાનિંગ તો અત્યારથી કરી લીધી હશે પણ એ પ્લાનિંગ પહેલા ફિલ્મ ‘31st' અચૂકથી જોવી જોઈએ. 



- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com




Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં