બે પ્રકારના એન્ડિંગ સાથે બનેલી ‘ભવની ભવાઈ’ આજે બનવી મુશ્કેલ છે

રિલીઝ વખતે ન વખણાયેલી આ ફિલ્મ આજે સાડા ચાર દાયકા પછી પણ કલ્ટ ફિલ્મોની યાદીમાં શિરમોર છે



ગુજરાતી સિનેમાજગતમાં કેટલીક એવી ફિલ્મો બને છે જે સમય જતા માત્ર ફિલ્મ બનીને નથી રહેતી, પણ સંસ્કૃતિ, સાહિત્ય અને કળાનું એક દસ્તાવેજ બની જાય છે. એવી જ એક ફિલ્મ છે કેતન મહેતાની ‘ભવની ભવાઈ’ જે 1980 માં રિલીઝ થઈ હતી. એક એક્સપરિમેન્ટલ કહી શકાય એવી આ ફિલ્મે રિલીઝના સમયે બહુ મોટી વ્યાપારી સફળતા નહોતી મેળવી, પરંતુ આજે વર્ષો પછી કલ્ટ-ક્લાસિક ફિલ્મોની યાદીમાં આ ફિલ્મ શિરમોર છે અને અચૂક સ્થાન પામે છે.  

ધીરુબેન પટેના નાટક ‘ભવની ભવાઈ’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી હતી જે કેતન મહેતાની પણ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી, સ્મિતા પાટિલ, દીના પાઠક, બેન્જામિન ગિલાની, મોહન ગોખલે, સુહાસિની મુલે, નિમેશ દેસાઈ અને ગોપી દેસાઈ જેવા ખ્યાતનામ કલાકારોએ અભિનય કર્યો હતો. ધીરુબેને જ આ ફિલ્મના ગીતો લખ્યા હતા જેને અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસે સંગીતબદ્ધ કર્યા હતા. ‘ખડખડ વહેતી સઘળું સહેતી, નદી વહેતી જાય, પળ પળ કહેતી જાય’, જે સૌથી લોકપ્રિય ગીત બની રહ્યું, ‘પાછું વાળીને જેને જોઈ ન જાનકી ને કરીયે કીયો રે ભરોસો ભગવાન’, ‘હું માલાનો દીકરો જીવો, હવે તારા આ ગામનો દીવો’,  ‘રંગલો આવે રાજા રંગલો આવે’ અને ‘પાતાળ પાણી તળે નીકળ્યા નીરા’ જેવા ગીતોમાં મન્ના ડે, ઉષા મંગેશકર, ભુપેન્દ્ર સિંહ, પ્રિતી સાગર, પફુલ્લ દવે અને નિમેશ દેસાઈનો સ્વર આપણને સાંભળવા મળે છે. નોંધનીય વાત એ છે કે 1980 માં જ્યાં રંગમંચની લોકપ્રિય પદ્ધતિ ભવાઈ લુપ્ત થઈ ચૂકી હતી એવા સમયમાં કેતન મહેતાએ ભવાઈશૈલીમાં ‘ભવની ભવાઈ’ જેવા વિષય પર ફિલ્મ બનાવવાનો જોરદાર અખતરો કર્યો. 

ફિલ્મની વાર્તા રંગલા-રંગલી એટલે નિમેશ દેસાઈ અને ગોપી દેસાઈ અને હરિજનોની ટોળીમાંના એક વૃદ્ધ (ઓમ પૂરી)થી શરૂ થાય છે. આ વૃદ્ધ રાજા ચક્રસેનની વાત માંડે છે.  સંતાનની ઇચ્છાથી અંધ બનેલો રાજા ચક્રસેન (નસીરુદ્દીન શાહ) હરિજનો પર અન્યાય કરે છે, પડોશી સાથે યુદ્ધ કરે છે અને અંતે રાજ જ્યોતિષીના ભ્રમમાં આવી પોતાના નવજાત પુત્રની હત્યા કરવાનો આદેશ આપે છે. જોકે એક સિપાહી બાળકને બચાવી નદીમાં છોડી દે છે અને તે હરિજન માલો ભગત(ઓમ પૂરી) અને તેની પત્ની ધોળી (દીના પાઠક) ને મળે છે, જે તેને ‘જીવો’ નામથી ઉછેરે છે. વર્ષો પછી જીવો (મોહન ગોખલે) યુવાન બને છે અને ઉજમ (સ્મિતા પાટીલ) નામની છોકરીને પ્રેમ કરે છે. એવામાં રાજાને રાજ્યમાં પાણીની અછત પૂરી કરવા વાવ બાંધી તેમાં કોઈ બત્રીસ લક્ષણા પુત્રની બલિ આપવાની સલાહ આપવામાં આવે છે. બદનસીબે આ બલી માટે જીવોને પસંદ કરવામાં આવે છે અને જીવો રાજ્યમાં અસ્પૃશ્યતા દૂર કરવાની શરતે આત્મસમર્પણની વાત કરે છે. અંતે સત્ય બહાર આવે છે કે જીવો જ રાજા ચક્રસેનનો ખરો વારસ છે. રાજા બલિ અટકાવે છે અને વાવમાં પાણી આવે છે. પરંતુ પેલો હરિજન વૃદ્ધ એક અલગ અંત કહી સંભળાવે છે, જે વધુ કરુણ હોય છે. તેના અંત મુજબ રાજા જીવોની બલિ આપે છે પણ વાવમાં પાણી નથી આવતું. દીકારની બલિના આઘાતમાં તેની સગી મા એટલે કે રાજમાતા પણ મૃત્યુ પામે છે અને માલો ભગત રાજાને શ્રાપ આપી વાવમાં ઝંપલાવે છે. માલો ભગતના મોત પછી વાવમાં પાણીની ધાર ફૂટે છે અને રાજા-મંત્રી ડૂબી મરે છે, જે શોષણ વિરુદ્ધ ઉગ્ર બળવાખોરીનું પ્રતિક બને છે. 

આમ બે પ્રકારના અંત દર્શાવી ફિલ્મમેકરે હેપ્પી એન્ડિંગ અને વાસ્તવિકતા ધરાવતા અંત વચ્ચેનો સાચો ક્યાસ આપ્યો છે. સામાન્યપણે ફિલ્મની વાર્તાને કમર્શિયલ સક્સેસફુલ બનાવવા માટે હેપ્પી એન્ડિંગનો કિમીયો લાગુ કરવામાં આવતો હોય છે પણ અહીં ધીરુબેન પટેલ અને કેતન મહેતાની બાહોશીથી એક વાર્તાના બે અંત આપણને બતાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ફિલ્મના અંતમાં માલો અને જીવો તેની ત્રીજી પેઢી સાથે આગળ વધતા દર્શાવવામાં આવ્યા છે, જે એ વાતનું પ્રતીક છે કે વાર્તાનો અંત ગમે તે હોય પણ માણસની જીવની નિરંતર ચાલતી રહેવી જોઈએ. વળી જે જગ્યાએ ક્યારેક કોઈ રાજા મહારાજાનું રાજ ચાલતું હતું એ જગ્યાએ આજે મિલો અને કારખાનાઓએ કબજો કરી લીધો છે. આ દ્રશ્ય બિમલ રૉયની ‘દો બીઘા ઝમીન’ ની યાદ અપાવી દેવા પૂરતો છે જ્યાં કળા, સાહિત્ય અને પેટ ભરવા માટેની લાચારી સામે કર્મશિયલ જરૂરિયાત વધારે મહત્ત્વની બની ગઈ છે. 

ફિલ્મની ફોક-ડ્રામા શૈલી, ભવાઈ લોકકલાને પ્રેરિત કરતો મિજાજ, સામાજિક વ્યંગ્ય અને અદ્દભુત અભિનય—આ બધા કારણો થકી ભવની ભવાઈ આજે અંદાજે સાડા ચાર દાયકા પછી પણ પોતાની એક અલગ છાપ ધરાવે છે. પરંતુ આ ફિલ્મ જે રીતે બની, એમાં જે જુગાડો, પડકારો અને સર્જનાત્મક પ્રયોગો કર્યા—તે ઘણીવાર સામાન્ય દર્શકોને ખબર જ નથી હોતી. પુણેની ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી સ્નાતક થયેલા યુવાનોએ ‘સંચાર ફિલ્મ કો-ઑ. સોસાયટી લિ.’ બનાવીને, લોન મેળવી, આ ફિલ્મ બનાવી હતી, જેની પાછળના અનેક રોચક કિસ્સાઓ જાણવા જેવા છે. અનેક પારિતોષિક અને એવોર્ડ મેળવેલી આ ફિલ્મ કઈ રીતે બની, કલાકારોએ આ ફિલ્મ માટે કેટલા રૂપિયા લીધા હતા, કેવી કેવી તકલીફોનો ફિલ્મ બનાવતી વખતે સામનો કરાયો હતો, એવી દરેક વાતોને વાગોળીશું આવતા લેખમાં. 


- આર.જે. સચીન વજાણી (નાચીઝ) / કાજોલ વજાણી

- dhollywoodtalkies@gmail.com 


Comments

Popular posts from this blog

પારિવારિક મૂલ્યો દર્શાવતી ફિલ્મ એટલે ‘સંઘવી એન્ડ સન્સ’

આ વર્ષે ઢોલીવુડમાં કોણે કોણ કરી એન્ટ્રી?

મર્ડર મિસ્ટ્રી ‘ભ્રમ’ આજથી સિનેમાઘરોમાં